
વાંસદા તાલુકા નું ચોંઢા ગામમાં સૂર્ય ઉર્જા દ્વારા નવી પહેલ, ગામડાંના લોકો અને ખેડુતો માટે વધૂ એક સુવિધા
ચોંઢા, નવસારી (ગુજરાત):
વાંસદા તાલુકાના ચોંઢા ગામે ગ્રામ વિકાસ અને સૂર્ય ઊર્જાના સામૂહિક ઉપયોગમાં એક નવી મિસાલ પુરી પાડી છે. ગામમાં પહેલેથી જ આવેલું સોલાર પેનલ, જે લિફ્ટ સિંચાઈ માટે વપરાતું હતું, હવે સામૂહિક સુવિધાઓ માટે પણ ઉપયોગમાં લેવાઈ રહ્યું છે.
તે જ પેનલના માધ્યમથી હવે ગામની ગલીઓમાં સોલાર સ્ટ્રીટ લાઈટો ચાલુ થશે અને ખેડુતો માટે નવી ચાર્જિંગ પોઈન્ટ સ્થાપિત કરવામાં આવી છે, જે ગામડાંના લોકોને વધારાની સુવિધા પૂરી પાડી રહી છે. તેથી રાત્રે અવરજવર સુરક્ષિત બની રહે અને ખેડુતો માટે તેમના કૃષિ સાધનો અને બેટરીઓ ચાર્જ કરવાનો વધુ સુલભ માર્ગ ઉભો થયો છે.
આ કાર્યની શરૂઆત SBI યૂથ ફોર ઇન્ડિયા ફેલો સુરભિ સિંહના નેતૃત્વ હેઠળ BAIF રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના સહકારથી થઈ છે.
આ પ્રયાસને BAIFની પ્રોગ્રામ ડાયરેક્ટર રાજશ્રી જોશી દ્વારા પણ ઉત્તેજન મળ્યું, જેના લીધે પહેલને વધુ ગતિ મળી મુખ્ય ઉદ્દેશ હતો – ગામમાં પહેલેથી ઉપલબ્ધ સંસાધનોનો વધુ મહત્તમ ઉપયોગ કરવો અને તેને ગામની સામૂહિક જરૂરિયાતો સાથે જોડવો. જ્યારે ગ્રામજનોને ખબર પડી કે સિંચાઈ માટે વપરાતા સોલાર પેનલમાં વધારાની ઊર્જા ઉપલબ્ધ છે, ત્યારે તેનું અન્ય હેતુઓ માટે પણ ઉપયોગ કરવાનું વિચારાયું. પરિણામે, સ્ટ્રીટ લાઈટો લગાવવામાં આવી અને ચાર્જિંગ પોઈન્ટ ઉભું કરવામાં આવ્યું.
આ પહેલના ટેક્નિકલ ભાગને સુનિશ્ચિત કરવા માટે ટીમે મહેશ લાડે (સૂર્ય ઊર્જા ટેક્નિકલ હેડ) અને જયંતિલાલ કંથભાઈ સાથે મળીને કામ કર્યું. સુરભિ સિંહે ગ્રામજનોને સિસ્ટમની યોગ્ય જાળવણી અને સમભાવના માર્ગદર્શન આપ્યું. વોટર યુઝર ગ્રુપ (WUG)ના સભ્યોને તાલીમ આપી, જેથી તેઓ ભવિષ્યમાં આ સિસ્ટમને સ્વયં સંભાળી શકે અને બહારની સહાય પર આધારિત ન રહેવું પડે.
ચોંઢા ગામની આ અનોખી પહેલએ આસપાસના વિસ્તારોનું પણ ધ્યાન ખેંચ્યું છે. એલ એન્ડ ટી (L&T) જેવી સંસ્થાઓ આ મોડલથી પ્રેરાઈ છે અને તેને નજીકના નીરપાણ ગામમાં અમલમાં મૂકવાની યોજના બનાવી રહી છે. આથી સ્પષ્ટ થાય છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં ઉપલબ્ધ સંસાધનોના સામૂહિક ઉપયોગથી તેનો પ્રભાવ અનેકગણો વધી શકે છે.
આ પહેલ માત્ર ટેક્નિકલ સુધારાની વાત નથી, પરંતુ ગ્રામ્ય સમાજમાં આત્મનિર્ભરતા અને સહવિકાસની ભાવનાને પણ મજબૂત બનાવે છે.ચોંઢા ગામનો આ પ્રયાસ અન્ય ગામો માટે પણ પ્રેરણાનું સ્ત્રોત છે અને એ સાબિત કરે છે કે યોગ્ય દિશા અને માર્ગદર્શન મળે તો ગ્રામજનો પોતે જ ટકાઉ વિકલ્પો વિકસાવી શકે છે. આ એક “હરિત ગામ” (Green Village) તરફનો મજબૂત પગથિયો છે અને આવનારા સમયમાં ઘણા અન્ય ગામો પણ આ મોડલથી પ્રેરાઈને પોતે બદલાવ લાવી શકે છે.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા.
