
વાંસદા તાલુકાના નાની ભમતી ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બિયારણ વૃદ્ધિ કેન્દ્રની લીધી મુલાકાત.
બિયારણ કેન્દ્રમાં જીવામૃતનું ઉત્પાદન કરતી ગુરુકૃપા સખી મંડળની બહેનો સાથે રાજ્યપાલશ્રીએ સંવાદ સાધી પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો પર ચર્ચા કરી*
કેન્દ્રની કાર્યપદ્ધતિથી પ્રભાવિત થઈ મોડેલ ફાર્મ બનાવી વધુ ખેડૂતો સુધી પહોંચાડવા સુચવાતા રાજ્યપાલશ્રી
પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે કરેલા પ્રયાસ બદલ નવસારી જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના નાની ભમતી ખાતે નવસારી જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત બિયારણ વૃદ્ધિ કેન્દ્રની રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાએ બિયારણ વૃદ્ધિ કેન્દ્રની સમગ્ર કાર્યપદ્ધતિ અંગે રાજ્યપાલશ્રીને માહિતગાર કરી વિગતવાર ચર્ચા કરી હતી.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ બિયારણ વૃદ્ધિ કેન્દ્રમાં બિયારણનું ઉત્પાદન કરતી ગુરુકૃપા સખી મંડળની બહેનો સાથે સંવાદ સાધ્યો હતો. બહેનો પાસેથી જીવામૃત તથા ઘનમૃતના ઉત્પાદન અંગે જાણકારી મેળવી તેમને પ્રાકૃતિક ખેતીના મહત્વ અંગે માર્ગદર્શન આપી બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા.
નવસારી જિલ્લા પંચાયત સંચાલિત બિયારણ વૃદ્ધિ કેન્દ્રની મુલાકાત લઈને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તેની કાર્યપદ્ધતિથી પ્રભાવિત થયા હતા. પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે કરવામાં આવેલા સુંદર પ્રયાસ બદલ તેમણે નવસારી જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત આ મોડેલને વધુ ખેડૂતો સુધી પહોંચાડવા માટે જનજાગૃતિ વધારવા અને મોડેલ ફાર્મ તરીકે વિકસાવવા જરૂરી સૂચનો પણ આપ્યા હતા.

આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ, વાંસદા પ્રાયોજના વહીવટદારશ્રી પ્રણવ વિજયવર્ગીય, નવસારી પોલીસ અધીક્ષકશ્રી રાહુલ પટેલ, વાંસદા પ્રાંત અધિકારીશ્રી ભાર્ગવ માહલા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી અતુલ ગજેરા, સખી મંડળની બહેનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
TODAY 9 SANDESH NEWS
રીપોર્ટ – અમિત મૈસુરીયા
