
બ્રહ્માકુમારી ગુજરાતના હીરક મહોત્સવ નિમિત્તે બીલીમોરા બ્રહ્માકુમારીઝ દ્વારા સંપન્ન થઇ સફળ ” શાંતિ પ્રકમ્પન પદયાત્રા”
બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય એ માનવ જીવનને આધ્યાત્મિકતાના સરળ પાઠો થકી નૈતિકતા અને મૂલ્યોથી શૃંગારિત કરતી જીવનશૈલી શીખવતું અનોખું વિશ્વવિદ્યાલય છે. આ વિશ્વ વિદ્યાલયનું ગુજરાતનું સંગઠન આ વર્ષે એની હિરક જયંતિ ઉજવી રહ્યું છે એના ભાગરૂપે વૈશ્વિક શાંતિ માટે ગુજરાત રાજ્યના મુખ્ય પ્રભારી બીકે ભારતીદીદીના નિર્દેશ અનુસાર ગુજરાત રાજ્યના તમામ બ્રહ્માકુમારી કેન્દ્રો 24 ઓક્ટોબરથી 21 ડિસેમ્બર 2025 દરમિયાન સુનિયોજિત કાર્યક્રમો યોજી રાજ્યના મહત્તમ નાગરિકો દરરોજ શુભ સંકલ્પો થકી શાંતિના વાઈબ્રેશનો પ્રસારિત કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. બ્રહ્માકુમારીઝ બીલીમોરા પણ આ પ્રકલ્પમાં ઉમળકાભેર સહભાગી થઈ વિવિધ શાળાઓ,સંસ્થાઓ,સંગઠનો પરિવારોનો વ્યક્તિગત અને સામૂહિક રૂબરૂ સંપર્ક કરી,માર્ગદર્શક પ્રવચનનો,સંવાદો યોજીને સંબંધીતોને શાંતિના સ્પંદનોના દાન માટે પ્રેરિત કરી રહ્યા છે. આ પ્રકલ્પના ભાગરૂપે સેન્ટરના નિયમિત 80 જેટલા વિદ્યાર્થીઓએ તા : 23 નવેમ્બર ના રોજ શ્વેત વસ્ત્ર અને બેજ ધારણ કરી, બેનરો, સ્લોગનો સાથે શિસ્તબદ્ધ રીતે સોમનાથ રોડ ઉપર આવેલા સેન્ટરથી પદયાત્રાનો સવારે સાત કલાકે શુભારંભ કર્યો હતો. બીલીમોરા સેન્ટરના કેન્દ્ર સંચાલિકા બીકે ગુરુદેવી બહેને લીલી ઝંડી બતાવીને રેલી ને પ્રસ્થાન કરાવ્યું હતું.
સૌના આકર્ષણનું કેન્દ્ર બનેલી આ રેલી રેલવે સ્ટેશન સુધી જઈ શહેરના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ ITI બીલીમોરા સુધી આગવી અને અસરકારક રીતે ચોમેર શાંતિના વાયબ્રેશન ફેલાવી પુનઃ સેન્ટર ખાતે સવારે નવ વાગ્યે પરત આવી હતી. બીકે જ્યોતિ બહેન, બીકે સોબીતા બહેનના સુંદર આયોજન અને સેન્ટર સાથે સંકળાયેલ સહુ પરિવારજનોના સહૃદયી સહયોગ થકી સંપન્ન થયેલ પ્રસ્તુત પદયાત્રાએ બીલીમોરા નગરના વાયુમંડળને શાંતિના પ્રકંપનોથી તરબતર કરી દીધું હતું.
TODAY 9 SANDESH NEWS
દિનેશ સોસા
