
વાંસદા ગાંધી મેદાનમાં ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી
રાજયકક્ષાના મંત્રી કમલેશ પટેલ તથા સાંસદ ધવલભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો
ગાંધીમેદાનમાં યોજાયેલ કાર્યક્રમમાં વિશાળ જનમેદની જોતા 2027માં ધારાસભ્ય ભાજપનો હશે એ નિશ્ચિત છે- ધવલભાઈ પટેલ
:વાંસદા ખાતે રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી.
મહાનુભાવોના હસ્તે આદિજાતિ સમાજના તેજસ્વી તારલાઓ, પ્રતિભાશાળી રમતવીરો અને પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાથી આ વર્ષે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ રાજ્યભરમાં ‘જનજાતિય ગૌરવ વર્ષ’ તરીકે ઉજવાઈ રહી છે.
વાંસદા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું કે બિરસા મુંડા આદિવાસી સમાજના પ્રેરણાસ્રોત છે. તેમણે સંસ્કૃતિ, આદિવાસી ઓળખ અને સ્વાતંત્ર્ય માટે અવિરત પ્રયાસો કર્યા. અંગ્રેજોની દમન નીતિઓ સામે તેમણે તીર-કામઠા સાથે લડત આપી અને સમાજને એકતા તરફ દોરી. આદિવાસી બાંધવોએ દેશની આઝાદી માટે આપેલું બલિદાન આજની પેઢી માટે પ્રેરણાસ્ત્રોત છે.
મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. વિકસિત ભારત માટે એકતા અને નિષ્ઠા સાથે કાર્ય કરવાની પણ અપીલ કરી.
વલસાડના સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે વર્ષ 2021થી 15 નવેમ્બર બિરસા મુંડાના જન્મદિવસને ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આદિવાસી યુવાનોના સ્વાતંત્ર્ય સંગ્રામની ગાથા વર્ષો પછી દેશ સમક્ષ લાવવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. બિરસા મુંડાનું યોગદાન ઇતિહાસમાં અમર રહેશે.
પ્રણવ વિજ્યવર્ગિયએ સ્વાગત પ્રવચનમાં બિરસા મુંડાનું જીવન અને આદિવાસી સમાજના આઝાદી સંઘર્ષ અંગે માહિતગાર કર્યા.
દેડિયાપાડા ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ ઉપસ્થિત લોકોએ નિહાળ્યું.
બિરસા મુંડાના જીવન-સંઘર્ષ પર આધારિત ફિલ્મ, બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે વિવિધ ક્ષેત્રના પ્રતિભાશાળી લોકોને સન્માનિત કરવામાં આવ્યા.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, ઉપપ્રમુખ અંબાબેન મહાલા, તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિ પટેલ, સંગઠન પ્રમુખ સંજયભાઈ પટેલ,આ.જા મોરચા મહામંત્રી પિયુષભાઈ પટેલ, પ્રાંત અધિકારી ભાર્ગવ મહાલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ. ચાવડા,પ્રણવ વિજય વર્ગીય પ્રાયોજના વહીવટદાર,તાલુકા વિકાસ અધિકારી રાજેન્દ્ર પરમાર,તાલુકા ભાજપ ઉપ પ્રમુખ રાકેશભાઈ શર્મા સહિતનાં આગેવાનો અને મોટા પ્રમાણમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
