
બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે ઉનાઈ ખાતે ભવ્ય આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું
બિરસા મુંડાની ૧૫૦મી પાવન જન્મજયંતિની ઉજવણી નિમિત્તે, આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને ગૌરવને પુનર્જીવિત કરવાના ઉમદા હેતુસર તા. ૧૫/૧૧/૨૦૨૫, શનિવારના રોજ, નવસારી જિલ્લાના વાંસદા તાલુકા સ્થિત સુપ્રસિદ્ધ તીર્થધામ ઉનાઈના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક ભવ્ય આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આપણો સમાજ, આપણી સંસ્કૃતિ અને આપણો દેશના પાયાના સૂત્ર હેઠળ યોજાઈ રહેલો આ કાર્યક્રમ આદિવાસી અસ્મિતાને જાળવી રાખવા અને યુવા પેઢીને તેમની સમૃદ્ધ પરંપરાથી પરિચિત કરાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય ધરાવે છે. આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના દેવ-દેવીઓના પૂજન અને દર્શનનો લાભ પણ મળશે.
મુખ્ય આકર્ષણ તરીકે, કાર્યક્રમમાં આદિવાસી સમાજના પરંપરાગત નૃત્ય, ગીતો, અને રંગબેરંગી વેશભૂષાની સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે. વધુમાં, આદિવાસીઓ દ્વારા વર્ષોથી ઉપયોગમાં લેવાતા અને આરોગવામાં આવતા પૌષ્ટિક ભોજન-ખોરાકના સ્ટોલો તેમજ આદિવાસી સમાજની વિશિષ્ટ કલા, કારીગરી અને પરંપરાગત ઉત્પાદનોના પ્રદર્શન માટેના સ્ટોલો પણ ઉપલબ્ધ રહેશે. આ સાથે, સમાજના અગ્રણી વક્તાઓ અને લડવૈયાઓ દ્વારા પ્રેરક વક્તવ્યો આપવામાં આવશે.
આ આયોજન થકી, આદિવાસી સંસ્કૃતિના વારસાને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આદિવાસી સમાજના દરેક સભ્યને તેમજ સંસ્કૃતિ પ્રેમી જનતાને આ ઐતિહાસિક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં પધારીને પોતાની સંસ્કૃતિને બચાવવાના આ કાર્યમાં સહભાગી થવા માટે આયોજક સમિતિ દ્વારા ભાવભીનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
